સાંસદ અસદુદ્દીનનો આ વીડિયો જોયો તમે: સંસદમાં બોલ્યા "જય પેલેસ્ટાઈન", તેમની વિરુદ્ધ બંધારણ મુજબ કાર્યવાહી થઈ શકે ખરી? કોને છે તેમની સામે પગલા લેવાની સત્તા?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26062024_133758_Owaisi 1.webp)
- 26 Jun, 2024
18મી લોકસભાના પહેલા સત્ર દરમિયાન સાંસદોના શપથ ગ્રહણના બીજા દિવસે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ ગ્રહણ કર્યા અને તે પછીથી સંસદમાં જ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. સૌથી પહેલા તેમણે જય ભીમ કહ્યું. પછીથી જય મીમ, જય તેલંગાના, જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. પેલેસ્ટાઈનને લઈને ઓવૈસીના નારા પછી રાજકારણ ગરમાયું છે. હાલ સવાલ એ ઉઠ્યો છે કે શું આ નારા લગાવ્યા પછી ઓવૈસીએ બીજી વખત શપથ લેવા પડશે? કે શું તે લોકસભા માટે અયોગ્ય ઠરશે? તો ચાલો જાણીએ આ અંગે બંધારણમાં શું જોગવાઈ છે.
ભાજપે બંધારણના અનુચ્છેદ 102 અંતર્ગત ઓવૈસીને લોકસભામાં અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે. જોકે તે પછીથી સ્પીકરે તેમના નારાને રેકોર્ડ પરથી હટાવી દીધા. જોકે હવે બે વકીલોએ રાષ્ટ્રપતિને અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ એડવોકેટ વિનીત જિંદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 103 અંતર્ગત તેમણે રાષ્ટ્રપતિની સમક્ષ એક ફરિયાદ નોંધાવી છે. તેમાં પેલેસ્ટાઈનને લઈને નિષ્ઠા દેખાડવા બદલ અસદુદ્દીન ઓવૈસીને અનુચ્છેદ 102(4) અંતર્ગત અયોગ્ય ઠેરવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ હરિશંકર જૈને પણ રાષ્ટ્રપતિને ઓવૈસીની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે પણ ઓવૈસીને અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 102માં સંસદના બંને ગૃહોના સભ્યોની અયોગ્યતાના નિયમો બતાવવામાં આવ્યા છે. અનુચ્છેદ 102(ડી)માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સભ્ય કોઈ અન્ય દેશ અંગે નિષ્ઠા વ્યક્ત કરે છે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવી શકે છે. બંધારણના અનુચ્છેદ 103માં કહેવામાં આવ્યું છે કે જો અનુચ્છેદ 102 અંતર્ગત કોઈ અયોગ્ય ઠરે છે, તો તે સાંસદના સભ્યપદ પર અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. બંધારણના આ નિયમને લઈને ભાજપ અને અન્યએ ઓવૈસીના સભ્યપદને રદ કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની કુમાર દુબે જણાવે છે કે બંધારણના અનુચ્છેદ 102 અંતર્ગત સભ્યોની અયોગ્યતાની કેટલીક શરતો છે. તેમાં એક શરત એ પણ છે કે જો ભારત સિવાય કોઈ દેશ પ્રત્યે સભ્ય આસ્થા કે વિશ્વાસ ધરાવે છે તો આ પરિસ્થિતિમાં તે અયોગ્ય ઠરે છે. આ સિવાય લોકસભા સચિવાલયના નિયમ મુજબ શપથની શરતો પહેલેથી નક્કી છે. તેની ભાષાઓ તો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ પ્રતિજ્ઞાનું ફોર્મેટ એક જ છે. પરંતુ જો કોઈ સભ્ય બીજા દેશ પ્રત્યે આસ્થા ધરાવે છે તો તેને સ્પીકર અયોગ્ય જાહેર કરી શકે છે.